16.2.16

હ્રદય સૂત્ર -ઓશો

                                       મૃત્યુ : શૂન્યતા ની સુગંધ 
 


 ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ , વડોદરા 
( ફોન :૨૬૫-૨૬૩૮૨૬૯ / ૨૫૮૦૩૩૬)
ઇ-મેલ: sunpack_industries@yahoo.co.in


શ્વેતકેતુ ને તેના પિતાએ કહ્યું, તમામ ચીજો જે નથી તેમાંથી ઉદ્ભવે છે. આ જીવનનું રહસ્ય છે. પ્રત્યેક ચીજ જે નથી તેમાંથી ઉદ્ભવે છે, અને એક દિવસ અદ્રશ્ય થઇ જાય છે. મનુષ્ય નું પણ આવું જ છે. આપણે જે નથી તેમાંથી ઉદ્ભવીએ છીએ. આપણે શૂન્ય છીએ, અને આપણે શૂન્યમાં અદ્રશ્ય થઇ જઈએ છીએ. 

શૂન્ય એક યથાર્થ અનુભવ છે. આ અનુભવ તમે ક્યાં તો ઊંડી ધ્યાનાવસ્થામાં કરી શકો અથવા તો જયારે મૃત્યુ આવે ત્યારે કરી શકો. મૃત્યુ અને ધ્યાન : તેનો અનુભવ થવાની સંભાવનાઓ છે. જો તમે સતર્ક છો તો તમે તેનો અનુભવ મૃત્યુમાં કરી શકો છો. સામાન્ય રીતે લોકો અચેતન અવસ્થામાં મૃત્યુ પામે છે. જો તમે સચેત પણે , સભાન પણે  મૃત્યુ પામો તો તેનો અનુભવ કરી શકો છો. અને તમે સચેતપણે કેવળ તો જ મૃત્યુ પામી શકો જો તમે મૃત્યુ ની સંઘટના નો સ્વીકાર કરો. અને તેના માટે વ્યક્તિએ આખું જીવન શીખીને તૈયાર થવું પડે, વ્યક્તિએ મૃત્યુ પામવા તૈયાર થવાની પ્રક્રિયાને ચાહવી પડે છે. અને વ્યક્તિએ મૃત્યુ પામવા તૈયાર થવા ધ્યાન ધરવું પડે. કેવળ એ જ મનુષ્ય જેણે પ્રેમ કર્યો છે, ધ્યાન ધર્યું છે તે જ સચેત-પણે , સભાનપણે મૃત્યુ પામી શકશે. અને એકવાર તમે સભાનપણે મૃત્યુ પામો છો પછી તમારે પાછા આવવાની જરૂર રહેતી નથી, કારણ કે, તમે જીવનના પાઠો શીખી લીધા છે. પછી તમે પૂર્ણમાં, નિર્વાણમાં અદ્રશ્ય થઇ જાઓ છો.

તમારા અસ્તિત્વના ગહનતમ ઊંડાણમાં, હાર્દમાં , શૂન્યતા રહેલી છે. જીવનના હાર્દમાં મૃત્યુની હયાતી છે. મૃત્યુ તે ચક્રવાતનું કેન્દ્ર છે. પ્રેમમાં તમે તેની સમીપ આવો છો. ધ્યાનાવસ્થામાં તમે તેની સમીપ આવો છો, શારિરીક મૃત્યુ સમયે પણ તમે તેની સમીપ આવો છો. ઘેરી નિંદ્રામાં જયારે સ્વપ્નો અદ્રશ્ય બની જાય છે, ત્યારે તમે તેની સમીપ આવો છો. તે અત્યંત જીવનદાયી છે, જીવનવર્ધક છે. ઘેરી ઊંઘ ના લઇ શકતો માણસ માંદો પડી જશે, કારણ કેવળ ઘેરી ઊંઘમાં, જયારે તે પોતાના ગહનતમ ઊંડાણમાં મૃત્યુ પામે છે ત્યારે તે ફરીથી જીવન શક્તિ, સામર્થ્ય પ્રાપ્ત કરે છે. સવારે તે ફરી તાજો અને જોશ-ઉત્સાહથી ભરેલો, થનગનતો, ફરીથી થનગનતો
બની જાય છે.
મૃત્યુ પામતા શીખો !
એ શીખવા જેવી મહાનતમ કળા છે. એમાં મહાન કૌશલ્ય રહેલું છે.

જો તમે આધુનિક ભૌતિક વિજ્ઞાનીઓ ને કહેશો તો તેઓ બુદ્ધ સાથે સહમત થશે: તમે પદાર્થમાં જેટલા ઊંડા ઉતરો તેમ-તેમ ચીજો અદ્રશ્ય થઇ જાય છે. પછી ત્યાં ઇલેક્ટ્રોન હોય છે. પરંતુ તે થીંગ નથી, નથીંગ છે. તે વસ્તુ નથી, વસ્તુ ની અનુપસ્થિતિ છે. આધુનિક ભૌતિક શાસ્ત્ર માં પદાર્થ નું હવે કોઇ અસ્તિત્વ રહ્યું નથી. તેની સઘનતા તેની સારભૂતતા એ ભ્રમ છે: શૂન્ય એ જ સારભૂત છે. બધુંજ નિરંતર અને ઉર્જા સ્વરૂપ છે. પદાર્થ એ બીજું કંશુ જ નથી પરંતુ ઉર્જા છે. અને જયારે તમે ઉર્જાના ઊંડાણમાં ઉતરો છો ત્યારે ઉર્જા એ કોઇ ચીજ-થીંગ રહેતી નથી, તે ના-ચીજ... નથીંગ બની જાય છે.

મૃત્યુ એ એક એવું બિંદુ છે જ્યાં જ્ઞાનનું કશું ચાલતું નથી, અને આપણે અસ્તિત્વ સમક્ષ ખુલ્લા બનીએ છીએ- સદીઓથી બુદ્ધ ધર્મનો આ અનુભવ રહ્યો છે. બુદ્ધ હમેશા તેમના શિષ્યો ને જયારે કોઇ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ચિતાની આગમાં સળગતા દેહને જોવા મોકલતા હતા : “ ત્યાં ધ્યાન ધરો... જીવનની શૂન્યતા નું ધ્યાન ધરો. ” મૃત્યુ એક એવું બિંદુ છે જ્યાં જ્ઞાન નિષ્ફળ જાય છે. અને જ્યારે જ્ઞાન નિષ્ફળ જાય ત્યારે મગજ પણ નિષ્ફળ જાય છે. અને જયારે મગજ નિષ્ફળ જાય છે ત્યારે સત્યની સંભાવના તમારામાં પ્રવેશે છે.    
જયારે કોઇ વ્યક્તિ મૃત્યુ પામતી હોય છે તે ક્ષણ ધ્યાન ધરવા માટેની મહાન ક્ષણ છે.

હું હંમેશા વિચારું છું કે, દરેક શહેર ને એક મૃત્યુ-કેન્દ્ર ની જરૂર છે.  જયારે કોઇ વ્યક્તિ મૃત્યુ પામી રહી હોય અને મૃત્યુ ખુબ જ સમીપ આવી ગયું હોય ત્યારે તેને મૃત્યુ-કેન્દ્ર માં ખસેડી દેવી જોઈએ.તે એક નાનું મંદિર હોવું જોઈએ, જ્યાં લોકો ઊંડું ધ્યાન ધરી શકે. તેમણે તેની આસપાસ બેસવું જોઈએ. તેને મૃત્યુ પામવામાં મદદ કરવી જોઈએ. અને જયારે તે શૂન્યમાં ભળે ત્યારે તેના અસ્તિત્વમાં સહભાગી થવું જોઈએ. જયારે કોઇ વ્યક્તિ શૂન્યમાં અદ્રશ્ય થાય છે, ત્યારે જે શક્તિ તેની આસપાસ હતી તે મુક્ત થાય છે, ત્યારે જો તમે તેની આસપાસ મૌન આકાશમાં છો, તો તમે એક મહાન સફરે જશો. મનુષ્ય સ્વાભાવિક રીતે જ મહાશક્તિને મુક્ત કરે છે, જો તમે એ ઉર્જા ગ્રહણ કરી શકો તો તમે પણ તેની સાથે એક પ્રકારે મૃત્યુ પામશો. અને અંતિમ સ્ત્રોત અને ધ્યેય, આરંભ અને અંત ને નિહાળશો.       

જો કોઇ તમને પૂછે કે તમે કોણ છો? તો તમે શું કહેશો ?
કાં તો તમે ભૂતકાળના આધારે જવાબ આપી શકો- કે જે હવે રહ્યો નથી.
અથવા તો તમે ભવિષ્યના આધારે જવાબ આપી શકો જે હજી આવ્યું નથી. કે જે તમે નથી.
પરંતુ આ ક્ષણે તમે શું છો?
કોઇ નહીં.
નો બડી .
એક શૂન્યતા.
આ શૂન્યતા તમારું હાર્દ, હ્રદય- તમારા અસ્તિત્વનું હ્રદય છે.    
 
મૃત્યુ એ જીવનના વૃક્ષ નું છેદન કરતી કુહાડી નથી, તે તેના પર ઉગતું ફળ છે. મૃત્યુ તમે જેમાંથી બનેલા છો તે તત્વ છે. શૂન્યતા એ તમારું મૂળભૂત અસ્તિત્વ છે. તમે પ્રેમ દ્વારા કે ધ્યાન દ્વારા આ શૂન્યતાને પામો છો અને તેની ઝાંખી મેળવતા રહો છો. શૂન્યતા ક્યારેય મરી શક્તિ નથી. ચીજો મૃત્યુ પામે છે, શૂન્યતા અમર છે, શાશ્વત છે.  
તમે કોઇ ચીજને મળતા આવો છો તો તમારે મૃત્યુ ને સહન કરવું પડશે. પરંતુ જો તમે જાણો છો કે તમે સ્વયમ્ મૃત્યુ છો તો પછી તમારે મૃત્યુ સહન કરવાનો સવાલ જ ક્યાં છે?  પછી કશાનો નાશ થઇ શકે નહિ, શૂન્યતા અવિનાશી છે.

એક બૌદ્ધ નીતિકથા છે :
એક નરકના રાજાએ નવાંગતુક આત્માને પૂછ્યું,
તું તારા જીવન દરમ્યાન ત્રણ સ્વર્ગીય દૂતોને મળ્યો હતો કે નહી?”
તેણે જવાબ આપ્યો- “ ના દેવ, હું મળ્યો ન્હોતો ”
ત્યારે રાજાએ કહ્યું, “ ઉંમરના કારણે વાંકો વળી ગયેલો વૃદ્ધ  કે કોઇ ગરીબ, કે કોઇ રોગગ્રસ્ત એકલોઅટુલો માણસ કે કોઇ મૃત માણસને તેં ક્યારેય જોયો ન્હોતો? ”
બૌદ્ધો આ ત્રણ ને “ દેવદૂતો ” કહે છે : વૃદ્ધત્વ, વ્યાધિ અને મૃત્યુ – દેવના આ ત્રણ દૂતો છે . શા માટે? કારણ કે જીવનના આ અનુભવ દ્વારા જ તમે મૃત્યુ અંગે સભાન બની શકો છો. અને જો તમે મૃત્યુ અંગે સભાન બનો છો અને કેવી રીતે તેમાં પ્રવેશવું, કેવી રીતે તેનું સ્વાગત કરવું, કેવી રીતે તેને આવકાર આપવો તે શીખવાનું શરૂ કરો છો ત્યારે તમે બંધનમાંથી, જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાવ છો.       

મૃત્યુ નું ધ્યાન ધરવાનું શરૂ કરો. અને જયારે પણ તમને લાગે કે મૃત્યુ સમીપ છે ત્યારે તેમાં પ્રેમના દરવાજા માંથી પ્રવેશો, ધ્યાનના દરવાજામાંથી પ્રવેશો. અને જો કોઇ દિવસ તમે મૃત્યુ પામી રહ્યા છો, તો આનંદ અને મંગલ કામનાથી તેનું સ્વાગત કરો. અને જો તમે મૃત્યુનું  આનંદ અને મંગલ કામનાથી સ્વાગત કરી શકશો તો તમે સર્વોચ્ચ શિખરને પ્રાપ્ત કરશો, કારણકે આનંદ અને મંગલ કામનાથી તેનું સ્વાગત એ જીવનનો આરોહ છે. તેનામાં ચરમ પ્રેમોત્કટતા છુપાયેલી છે. કારણકે તેમાં મહાનતમ મુક્તિ રહેલી છે.

મૃત્યુ ઈશ્વરને પ્રેમ કરે છે અથવા કહો કે ઈશ્વર મૃત્યુને પ્રેમ કરે છે. મૃત્યુ અખિલ વિશ્વની સંપૂર્ણ  પ્રેમોત્કટતા છે. આથી  મૃત્યુ અંગે તમે જે બધા વિચારો ધરાવો છો તેનો ત્યાગ કરો, તે બધું ખતરનાક છે. તમારે જે મહાનતમ અનુભવ કરવાનો છે, તેના પ્રત્યે તે વૈમનસ્ય ઉભું કરાવે છે. જો તમે મૃત્યુને ચુકી જશો તો ફરી-ફરી જન્મ પામતા રહેશો. જ્યાં સુધી તમે કેવી રીતે મૃત્યુ પામવું તે શીખતા નથી ત્યાં સુધી તમે ફરી-ફરીને જન્મ પામતા રહેશો. આ ચક્ર, સંસાર, દુનિયા છે. એકવાર તમે સર્વોચ્ચ પ્રેમોત્કટતાનો પરીચય કરશો પછી કોઇ ચીજની જરૂર નથી; તમે અદ્રશ્ય થઈ જશો. તમે એ પ્રેમોત્કટતામાં હમેશા માટે રહેશો. તમે કોઈની જેવા રહેશો નહિ. તમે સ્વયમ પૂર્ણ રહેશો, અંશ નહીં.