4.11.16

દીપક સોલિયા : ગુરુતા : લઘુતાની અભિવ્યક્તિની એક આડકતરી રીત !



એક વાતની સો વાત
દીપક સોલિયા

બાજીરાવ મસ્તાની જોઈ? ફિલ્મ સારી છે. એની વાર્તા એવી છે કે અજોડ યોદ્ધો પેશ્વા બાજીરાવ પોતાની પત્ની કાશીબાઈને ખૂબ પ્રેમ કરતો હતો, છતાં એ મસ્તાની નામની એક મર્દાની રૂપવતીના પ્રેમમાં પડયો, એટલું જ નહીં, મસ્તાની સાથે લગ્ન કરીને એ સોતનના દીકરાનો બાપ પણ બન્યો. અલબત્ત, પહેલી પત્નીને એણે તરછોડી નહોતી. ના, ઊલટાનું, પ્રથમ પત્ની કાશીબાઈનો માન-મરતબો અને પેશ્વીણ બાઈ(પેશ્વાની મુખ્ય પત્ની) તરીકેનો કાશીબાઈનો રૂતબો-હોદ્દો બરકરાર રહે એ માટે બાજીરાવે પૂરતું ધ્યાન રાખ્યું. જીવનમાં બીજી સ્ત્રીનાં આગમન પછી પણ કાશીબાઈ પ્રત્યેનો બાજીરાવનો પ્રેમ સાવ ઠરી-મરી નથી જતો. ટૂંકમાં, બેય પત્ની સાથે બાજીરાવનું ગાડું જેમતેમ ચાલતું રહ્યું પણ એક દિવસ કાશીબાઈએ પોતાની નારાજગીનું હાર્દ સ્પષ્ટ કરતાં બાજીરાવને કહ્યું, 'બીજું બધું તો ઠીક છે પણ તમે મારુંં ગુમાન તોડી નાખ્યું.'
વર બીજી બાઈના પ્રેમમાં પડયો એ ઠીક છે. બીજી બાઈ સાથે વર પરણી ગયો અને બીજીના પેટે છોકરુંં જન્મ્યું એ પણ ઠીક છે. 'વો સબ તો ઠીક હૈ, પર તુમને મેરા ગુરૂર તોડ દિયા.' આ એક વાતે કાશીબાઈ બાજીરાવને માફ કરવા તૈયાર નથી.
વાત સમજવા જેવી છે. કાશીબાઈનાં જીવનનાં કેન્દ્રમાં એક ગુમાન હતું કે 'હું કોણ? હું પેશ્વીણ બાઈ, મહાન પેશ્વા બાજીરાવની પ્રાણપ્યારી પત્ની.' પોતે બાજીરાવનાં જીવનનું કેન્દ્ર છે એ વાતનું ગૌરવ કાશીબાઈનાં જીવનનું કેન્દ્ર હતું. એ ગૌરવ એટલું જોરદાર હતું કે લોકો સાથેનાં જાહેર વર્તનમાં તો ઠીક, કાશીબાઈ ઘરમાં એકલી ચાલી રહી હોય તો પણ એની ચાલમાં એ ગૌરવ દેખાય, પછી પતિનાં જીવનમાં બીજી ઓરતનું આગમન થવાથી કાશીબાઈનો રોફ, અભિમાન,ખુમારી તૂટી ગયાં. જીવનનું કેન્દ્ર જ હચમચી ગયું. જોકે પછી પણ દુનિયાની નજરમાં 'બાજીરાવની પ્રાણપ્યારી પેશ્વીણ બાઈ' તરીકેની પોતાની ઇમેજ અને મગરૂરી જાળવવાની મથામણો કાશીબાઈએ ચાલુ રાખી પણ એ તો તમાચો મારીને ગાલ લાલ રાખવાની કવાયત હતી. ગાલની અસલી લાલી તો વરનાં જીવનમાં બીજી સ્ત્રીનાં આગમન સાથે જ ગાયબ થઈ ચૂકી હતી.
ગુમાન-અભિમાન એ કોઈ મોટો સદ્ગુણ નથી, છતાં આપણામાંનાં લગભગ બધાં જ લોકોને અભિમાન-ગૌરવ ગમતું હોય છે. જ્ઞાતિની છોકરી બોર્ડમાં ૮૪ ટકા લાવે તો પણ આપણે જ્ઞાતિનું (અસલમાં ખુદનું) ગૌરવ પ્રગટ કરવા માટે સમારંભ યોજીએ છીએ. હિંદુવાદીઓ તો સ્પષ્ટ હિન્દીમાં કહે કે 'ગર્વ સે કહો હમ હિંદુ હૈ'. ભારતીય લોકો અમેરિકામાં પેપ્સી-ગૂગલના સીઈઓ બને ત્યારે ભારતમાં બેઠેલાં લોકોની છાતી ગજગજ ફૂલે.
આ ગર્વ શા માટે ?
ચડિયાતાપણા (સુપિરિયોરિટી) ની લાગણી આપણને આટલી બધી પ્યારી શા માટે હોય છે ?
સુપિરિયોરિટીની આ લાગણી છેવટે છે શું ?
જવાબ સાદો છે :

ઇન્ફિરિયોરિટી (લઘુતા) થી બચવા માટે માણસ સુપિરિયોરિટી અનુભવવા મથ્યા કરે છે.
કોઈ મહાન મનોવિજ્ઞાનીએ કહ્યું છે કે અસલમાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ જેવું કશું નથી હોતું. કોમ્પ્લેક્સ તો ફક્ત ઇન્ફિરિયોરિટીનો જ હોય છે. પોતાની લઘુતા-ઓછપ છુપાવવા માણસ ગુરુતા દેખાડવા મથે, તોછડાઈ દેખાડે, બીજાને ઊતરતાં ગણે... પ્રોબ્લેમ લઘુતા છે.
ગુરુતા તો લઘુતાની અભિવ્યક્તિની એક આડકતરી રીત માત્ર છે.
હું જો મારા ભારતના ભ્રષ્ટાચાર-ગરીબી-ગંદકીને લીધે લઘુતા અનુભવતો હોઉં તો એ લઘુતા છુપાવવા મારે એવા દાવા કરવા પડે કે બોસ, મારી ભારતીય સંસ્કૃતિ મહાન હતી અને વિમાનો તેમજ પ્લાસ્ટિક સર્જરી ભારતમાં જ શોધાયેલી. કમઓન, આજની તારીખે હિંદુ સંસ્કૃતિ જગતની એક અત્યંત આદરણીય પ્રાચીન સંસ્કૃતિ છે, વેદ-ઉપનિષદ-ગીતા ખરેખર સમૃદ્ધ ગ્રંથો છે, શૂન્યની શોધ ભારતમાં થયેલી... આ બધી હકીકતોને શાંતિથી ટાંકી જ શકાય, આમાં મિથ્યા-અભિમાનની કોઈ જરૂર જ નથી, છતાં પોતાના ધરમ વિશેનું ખોટું અભિમાન જગતના તમામેતમામ ધર્મના અનુયાયીઓ અનુભવે છે. ર્ધાિમક ગૌરવનું સૌથી વરવું રૂપ જોવું હોય તો આઈએસ(સીરિયા-ઇરાકમાં પેધા પડેલા ઉગ્રવાદીઓ) જુઓ. એ જગતમાં ખલીફા-રાજ સ્થાપવા માગે છે. આ તો એક્સ્ટ્રીમ(અંતિમ) ઉદાહરણ થયું, બાકી, પોતાના ધરમ-કોમ-દેશ-જ્ઞાાતિની વાત નીકળતાં આપણા સૌનાં નસકોરાં સહેજ ફુલાઈ જાય અને આપણે સહેજ તણાવપૂર્વક-આવેગપૂર્વક વાત કરવા લાગીએ... આવું શા માટે?
માણસ જ્યારે 'હું કોણ?' એ સવાલના જવાબમાં પોતાનાં મનમાં પોતાની જાત વિશેની જે છબી દોરે એમાં બે મુદ્દે બહુ ઘાટી રેખાઓ દોરે : લઘુતા અને ગુરુતા યાને કિ શરમ અને ગૌરવ. અસલમાં આ બેય લાગણીઓ પીડાની જ અભિવ્યક્તિ છે. લઘુતા એ પીડાની સ્પષ્ટ અભિવ્યક્તિ છે જ્યારે ગુરુતા એ લઘુતાની પીડાની આડકતરી અભિવ્યક્તિ છે. આ લઘુતા-ગુરુતાની લાગણીઓ આપણી સ્વ-છબીના, આપણી ઓળખના મુખ્ય રંગો બની રહે છે.
આ છબી રચનાર જે છબીકાર છે એ છે 'નકલી હું'.
'નકલી હું' પોતાની નકલી છબી બાબતે બહુ જ પઝેઝિવ-પ્રોટેક્ટિવ હોય છે. કોઈ બીજી વ્યક્તિનાં વર્તનથી પણ આપણી આ છબી ખરડાય ત્યારે આપણે કાશીબાઈ-મોડમાં આવી જઈએ છીએ. કાશીબાઈ એના વરની બેવફાઈ તો માફ કરી શકી પણ એના મનમાં એની પોતાની જે છબી હતી એ તૂટી એ વાતે કાશીબાઈ પોતાના વરને માફ ન કરી શકી.
મારી છબીની મસ્તી નહીં, મારી ઇમેજ સાથે ચેડાં ન જોઈએ, મારી ઓળખનું નામ નહીં લેવાનું... આ જે આગ્રહ છે એ આપણા સૌના 'નકલી હું'ની મૂળભૂત જીદ હોય છે. પોતાની ઓળખનું ગુમાન અને પોતાની ઓળખનો ક્ષોભ આ બેય 'પીડા'ને'નકલી હું' જડથાની જેમ વળગી રહેવામાં માને છે, કારણ કે એ પીડાઓ 'નકલી હું'નું હાર્દ છે, આવામાં કોઈ આવીને મારી લઘુતા-ગુરુતાની આ પાયારૂપ ઓળખ પર (કાશીબાઈના બાજીરાવની જેમ) પ્રહાર કરશે તો! મારી આત્મછબી ખરડાઈ જશે તો! આ ચિંતાને લીધે 'નકલી હું' એટલે કે તમે ને હું સતત એક આછી બેચેની અને અસ્વસ્થતા અનુભવતા હોઈએ છીએ.
 
લઘુતા-ગુરુતાની ગ્રંથિઓ સમગ્ર માનવજાતને કનડતી એક અત્યંત ગંભીર સમસ્યા છે. અસલમાં આ બિનજરૂરી ગ્રંથિઓ છે. આ ગ્રંથિઓ વિના જીવી જ શકાયઊલટાનું વધુ સારી રીતે જીવી શકાય. પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ અને ઠીક ઠીક હદે બાળકો પણ લઘુતા-ગુરુતાના ભાર વિના જીવે જ છે. આપણે પણ એવી રીતે જીવી શકીએ. વ્હાય નોટ?
__._,_.___






ટિપ્પણીઓ નથી: