29.3.13

પશ્યન્તિની પેલે પાર-જાતુષ જોષી


વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....

 કૃષ્ણ દવે 
(કાવ્ય સંગ્રહ:પ્રહાર)

 

નીરખ ત્યાં મરુસ્થલે સહજ ઊગી શકે વૃક્ષ, પણ કોઈનાયે સહારે નહિ,
એ મહાપ્રલયના અર્થ ભેદી ઊભું, વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....   

 


ટોચ પર કે પછી ગહન ઊંડાણમાં ,મૃદુલ માટી અગર લોહ પાષાણમાં,
બાળના પ્રથમ કો હાસ્ય જેવું ઊગી, વિકસવું તો સ્વયમ્ વૃક્ષના પ્રાણમાં...
આપણે ભેદ તોડી શક્યા ના હજુ, ભેદ તોડી ઊગે એ વૃક્ષનું ગજું,
લક્ષ્ય ની પાર પ્હોંચી જતું તે છતાં,એ કદી કોઈ પણ લક્ષ્ય ધારે નહિ.... 
                                                  વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....    



 

બુદ્ધ થઈ એ વળી પર્ણ ત્યાગી શકે, વાદ્ય થઈ કુંપળે એ જ વાગી શકે,
બંધ આંખે નિહાળી વળી વિશ્વને,  કો મહર્ષિ સમું એ જ જાગી શકે ...
આપણે આપણામાં જ શું શોધીએ? ચાલને વૃક્ષના અર્થ સંશોધીએ,
એ વસે એ શ્વસે સાવ ખુલ્લા મને, આપણી જેમ કંઈ બંધ દ્વારે નહિ... 
       વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....   
 

 
એક એવો હવે વૃક્ષનો દેશ હો , વૃક્ષના શ્વાસ હો વૃક્ષનો વેશ હો,
 પર્ણની ઝાલરે વૃક્ષની આરતી, વૃક્ષના મંદિરે વૃક્ષ સંદેશ હો....
આપણે આપણી જાત પણ ના સહી, વૃક્ષને વૃક્ષની કોઈ સીમા નહિ,
આપણે આપણામાં જ આ વૃક્ષને વાવીએ, તે પછી કંઈ વધારે નહિ....   
                                              વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....   

28.2.13

અનુવાદ નો આનંદ -સુરેશ દલાલ

કવિતા  લખવી એ પણ એક પ્રકાર નો અનુવાદ છે.
એની મૂળ કૃતિ તો
પ્રગટ થઇ ને પણ
અપ્રગટ રહે છે સર્જક ના ચિત્તમાં .

હું કોઈક એક કવિ ના
કાવ્ય નો અનુવાદ કરું છું
ત્યારે હું પ્રવેશું છું
એના નોખા અનોખા વિશ્વમાં
અને એની આબોહવામાં
જીવવાનો પ્રયત્ન કરું છું
શ્વાસમાં બધું ઊંડે ઉતરી જાય , પછી 

હું મારી ભાષા ના શબ્દો ને
મારી ખુબ નિકટ બોલવું છું
અને કહું છું
કે તમે પણ
આ આબોહવામાં જીવતાં થઇને
          તમારા સહજ હાવભાવ પ્રગટ કરો.

 અનુવાદ નો મોટામાં મોટો આનંદ તો એ છે કે આપણી ચેતના એક સર્જક ની ચેતના સાથે સાથે ચાલે છે.

આપણે નથી પૂરેપૂરા , કેવળ આપણે ચૂરેચૂરા ! -સુરેશ દલાલ

સુરેશ દલાલ


કોઇ દિવસ એવો ઉગે જયારે પવન પુરેપુરો અનુકુળ હોય ત્યારે આપણે કશું કરવાનું હોતું  નથી, બસ શઢ ખોલી નાંખવાના હોય છે !

આપણે જે કંઈ કરીએ તે પૂરેપૂરી લગન થી પૂરેપૂરી આર્દ્રતા થી કરીએ. પ્રાર્થના કરો તો એ પણ પૂરા આવેશ થી કરો,  ખાઓ, પીઓ, નર્તન કરો- જે કંઈ કરો
પૂરેપૂરી તલ્લીનતાથી કરો , શા માટે ઈશ્વરના સમુદ્રમાં મરેલી માછલીની જેમ દેખાયા કરો છો? કોઈક દિવસ કાળ એની જાળમાં આપણને ઝાલી લેશે છતાં પણ એના ભયમાં તરવાનું ઓછું છોડી શકાય છે ?

ફાધર વાલેસ કહેતાં કે ગુજરાતીમાં ચાલશે જેવો બીજો અપશુકનિયાળ શબ્દ એકે નથી!
આપણે જે કંઈ કરીએ છીએ તે અપૂર્ણતા થી કરીએ છીએ, જીવ પરોવીને કશું કરતા નથી. ઓતપ્રોત થઇ જતા નથી, કરવા ખાતર કરીએ છીએ, લગાવ વિના કરીએ છીએ.
કોઈક તમારી સાથે વાત કરતું હોય ત્યારે તમે સાંભળો છો ખરા ?
આપણે વેરાઈ ગયા છીએ.
આપણે બોલીએ છીએ ત્યારે પણ મોમાંથી શબ્ જેવા શબ્દો બહાર પડે છે ! વાણીમાં તો મનની પ્રતિષ્ઠા થયેલો હોવી જોઈએ.
પણ આપણે તો બધું ફરજીયાત કરીએ છીએ, મરજિયાત કશું કરતા નથી !
એટલે આપણું કામ પણ કામ જ રહે છે . એ કદીયે કર્મયોગ થતો નથી.

આપણે જો સમૂહ ગીત ગાવાનું હોય તો એ આવું હોય:

અમે નથી પૂરેપૂરા
  મનુષ્યના સમ્પર્ક માં કે નથી પૂરેપૂરા  ઈશ્વરના સમ્પર્કમાં.
નથી પૂરેપૂરા  છલોછલ લાગણીના કે નથી પૂરેપૂરા  બુદ્ધિના,
તર્કના નથી પૂરેપૂરા  સ્વર્ગમાં કે નથી પૂરેપૂરા  નર્કમાં ,
નથી પૂરેપૂરા  અંધકારમાં કે નથી પૂરેપૂરા  વરેણ્ય ભર્ગમાં.
આપણે નથી પૂરેપૂરા , કેવળ આપણે ચૂરેચૂરા !

રૂમી કહે છે : ઈશ્વર વિશ્વના સૌન્દર્યમાં જ વસ્યા છે . આપણે એના તરફ યાત્રા કરીએ એ જ મહત્વનું છે.
અનંત ની સાથે રહે ક્ષણેક્ષણ નો નાતો,

આટલો આનંદ તો ક્યાંય નહીં માતો.

પંથ અને પગલાં ને પાગલ થઇ ચાહતો

ધરતી પર આભ થઇ ને એવો તો છવાતો.

શરણ અને સ્મરણ ની લીલીછમ ભૂમિ

સૂફી કવિ રૂમી !

12.11.12

જાણીને છેતરાવાની કળા (અક્રમ વિજ્ઞાન / દાદાવાણી )



જાણીને છેતરાવાની કળા 


બુદ્ધિનું ચલણ આવે તો બુદ્ધિ બોસ (ઉપરી) થઈ બેસે,  અને જો જાણીજોઈને છેતરાય, તો બુદ્ધિ જાણે કે આ મારું ચલણ નથી રહ્યું. નહીં તો બુદ્ધિ જાણીજોઈને છેતરાવા ના દે. એ પ્રોટેક્શન (રક્ષણ) ખોળી જ કાઢે. પણ આપણે જાણીજોઈને છેતરાઈએ એટલે બુદ્ધિ ટાઢી પડી જાય, ‘યસ મેન’ (હાજી હા કરનાર) થઈ જાય પછી, અંડરહેન્ડ તરીકે રહે. બુદ્ધિને નોકર બનાવી દો, બોસ નહીં. એક મહિના સુધી છેતરાય છેતરાય કરે તો ધીમે ધીમે બુદ્ધિનું ચલણ ઓછું થઈ જાય.મારું ચલણ નથી બુદ્ધિ એમ કહે પછી. જાણીને છેતરાઓ.

બુદ્ધિ હોય ત્યાં સુધી મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય નહીં. જ્યારે બુદ્ધિ ખલાસ થઈ જાય, બુદ્ધિનો એક સેન્ટ ના હોય, ત્યારે એ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય.

સમજીને છેતરાવા જેવો કોઈ પરમાર્થ નથી. જ્ઞાની છેતરાય ક્યાં ? જાણીબૂઝીને.તમે કોઈ દહાડો જાણીબૂઝીને છેતરાયા હતા ? જાણીબૂઝીને છેતરાય એ મોટામાં મોટું મહાવ્રત કહેવાય છે આ દુષમકાળનું. જાણીજોઈને છેતરાવું એના જેવું મહાવ્રત કોઈ નથી આ કાળમાં ! બહુ પુણ્ય હોય તો આપણને છેતરાવાનું મળે ! આ કાળમાં જ છેતરનારા મળ્યા. પહેલા તો આપણે બાધા રાખીએ તોય છેતરનારા નહોતા મળતા.

માનીને માન આપી,
લોભિયાથી છેતરાય,
સર્વનો અહમ્ પોષી
વીતરાગ ચાલી જાય

સર્વનો અહમ્ પોષીને વીતરાગ ચાલ્યા જાય ! એનો બિચારાનો અહમ્ પોષાય અને આપણો છૂટકારો થઈ ગયોને ! નહીં તોય રૂપિયા કંઈ ઠેઠ આવવાના છે ? એના કરતાં અહીં એમ ને એમ છેતરાઈને લોકોને લઈ લેવા દોને ! નહીં તો પાછળ લોક વારસદાર થશે ! એટલે છેતરાવા દો ને ! 

છેતરનાર હોય એનેય અસંતોષ ના થાય, હું અપમાન કરું તો મને પકડી રાખે લોકો બધા. જે તે રસ્તે આ લોકોને માન આપીને, તાન આપીને, પૈસા આપીને પણ અહીં આ છે તે સહી કરો. આ બધું અહીં જ પડી રહેવાનું. નહીં આપો તો છેવટે લઈ લેશે મારીઠોકીને. લઈ લે કે ના લઈ લે ? તો તે ઘડીએ માબાપ કહેવું તેના કરતા પહેલેથી માબાપ કહોને! પણ શું થાય ? કર્મમાં વાંધા લખેલા હોયને, તે છૂટે નહીં. 

આ દુનિયામાંથી કશું જ લઈ જવાનું નથી, તો પછી આપણે સામાને શું કામ રાજી ના રાખીએ ? ‘સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.આ અહમ્ ના પોષીએ તો આ લોકો આપણને આગળ જવા જ ના દે ! અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યુંએમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દે ને ! સમભાવે નિકાલ કરવાથી પેલી બાજુ કચકચ કરવામાં બુદ્ધિનો ઉપયોગ જ ના વપરાય. ઉપયોગને જ તાળા વાગી જાય.

છેતરાવું બંધન નથી, છેતરાવું તો એ ચોખ્ખા જ થાય છે. હા, છેતરાવા દેવાનું. છેતરાવા માટે જ આ જગત છે. છેતરાઈ જશો તો આ ચોખ્ખા થશે, નહીં તો ચોખ્ખા શી રીતે થશો ? લોક પોતે ગંદવાડો વેઠીને સામાને ચોખ્ખો કરી આપે છે.

આપણે જાણીએ કે આ છેતરવાનો છે તોય એને એમ ચા-પાણી કરીએ, જમાડીએ પછી છેતરાઈએ. હું તો એવી રીતે જ છેતરાયેલો છું અને એ રીતે મને લોકોએ મુક્ત કર્યો છે. એમના થકી, એમની ઓળખાણ થકી.

ખરી રીતે છેતરનારા એ જ છેતરાય છે ને ! છેતરાયેલો અનુભવને પામે છે, ઘડાય છે. જેટલું ખોટું નાણું હોય, તેટલું જ લૂંટાઈ જાય ને સાચું નાણું હોય, તો તેનો સદ્ઉપયોગ થાય ! જેટલું ડિસાઈડેડ (નક્કી) છે એટલું જ થશે. અન્ડિસાઈડેડ (અનિર્ણિત) કશું થવાનું નથી. તમારી પાસેથી કોઈ લાભ લઈ શકે નહીં.આ મને છેતરી ગયોતેમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે, એના કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જ્યારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઇએ. એમાં સામાનો શો દોષ ? એણે તો ઊલટું આપણું કર્મ ખપાવી આપ્યું. એ તો નિમિત્ત છે. છેતરી ગયા તે ગેરકાયદેસર હોય છે ?

માણસને કોઈ છેતરી જાય તો છેતરનારો એની આત્મશક્તિ એને આપી દે છે અને એની આ શક્તિ એ પોતે લઈ લે છે. એટલે સૂક્ષ્મમાં અપાઈ રહ્યું છે બધું. એટલે હું છેતરાવા જ માંગતોતો. છેતરાઈને તો આ કમાણી થઈ છે મારી. આમ તો વેચાતું લેવા જઈએ, તો આપે નહીં કોઈ એટલે આ રીતે વેચાઈને લઈ લઈએ.

વડોદરા આવું ત્યારે આજુબાજુવાળા કોઈ કહેશે, ‘અમારું ગંજી પહેરણ લાવજો, અમારું આ લાવજો. મારો સ્વભાવ કેવો ? જેની લારી આગળ ઊભો રહ્યો અને પૂછ્યું એટલે એને ત્યાંથી જ લેવાનું. પછી વધતું-ઓછું હોય તોય  નભાવી લેવાનું. કારણ કે એને દુઃખ ના થાય એટલા માટે એને ત્યાંથી જ લેવાનું. અને જે લોકોએ વસ્તુઓ મંગાવેલી, તે લોકો સાત જગ્યાએ પૂછી પૂછીને, બધાંને અપમાન કરી કરીને પણ લઈ આવે. એટલે હું જાણું કે આ લોકો મારા કરતાં બે આને ફેર લાવે એવા છે. એટલે હું બે આના એ અને એક આનો વધારાનો, એમ કરીને ત્રણ આના બાદ કરીને હું પેલાને રકમ કહું. બાર આના આપ્યા હોય તો નવ આના મેં આપ્યા છેએવું એને કહું.

છેતરાવાની જગ્યા, ચીજો અહીં પડી રહેવાની છે અને વગર કામના વેર બાંધવા નકામા આ લોકોની જોડે. તમે છેતરાજો પણ કોઇનેય છેતરશો નહીં. નાનપણથી મારો પ્રિન્સિપલ’ (સિદ્ધાંત) એ હતો કે સમજીને છેતરાવું. (પૈસા તો) કાલે આવી મળે. આ બધા સંબંધો બગાડવા એ તો ભયંકર ગુનો છે.

અમે માકણને જાણીજોઈને કૈડવા દેતા હતા, એને પાછો તો ના કઢાય બિચારાને ! આપણી હોટલમાં આવ્યો ને જમ્યા વગર જાય ? મારી હોટલ (પુદગલ) એવી છે કે આ હોટલમાં કોઈને દુઃખ આપવાનું નહીં. એ અમારો ધંધો છે. હવે એ ફળ શું આપે ? માકણમાં રહેલા વીતરાગ અમારી મહીં રહેલા વીતરાગને ફોન કરે કે આવા દાતા કોઈ જોયા નથી, માટે આમને છેલ્લામાં છેલ્લું પદ આપો.આ માકણ હોય છે તે લોકો ઊંઘે છે ત્યારે જમી જ લે છે. પણ અમે શું કર્યું કે જાગતા જમી લેવા દો. લોકો ઊંઘતા જમવા દે છે અને અમે જાગતા જમવા દઈએ છીએ અને પાછું એને મારવા-કરવાની વાત જ નહીં. આમ હાથમાં તરત આવે, પણ અમે એને પાછું પગ ઉપર મૂકી દઈએ. જો કે હવે મારી પથારીમાં માકણ આવતા જ નથી, બિચારાનો હિસાબ પૂરો થઈ ગયો છે. જો હિસાબ અધૂરો રાખીએ તો હિસાબ કાચો રહે.અને માકણ બિચારા જમવા આવે છે, ત્યારે અહીં કંઈ ડબ્બો લઈને નથી આવતા. એ ખાય એટલું જ, પણ જોડે ટિફિન કશું લઈ જવાનું નહીં. ટિફિન ભરી જતા હશે ? પણ એ જમે એટલું બધું કે બિચારાને આમ હાથ અડાડે તો પેટ ફૂટી જાય એનું, તે મરી જાય બિચારો ! ને આપણો હાથ પાછો ગંધાય !!

પ્રાજ્ઞ સરળતા જોઇએ, સમજણપૂર્વકની સરળતા. સમજીને છેતરાય એ પ્રાજ્ઞ સરળતા કહેવાય. ત્યારે મોક્ષે જવું (હોય) તો આવું જોઈશે, સમજીને છેતરાવું.
સરળતા એટલે બીજા કહે કે તરત માની લે, ભલે છેતરાવાનું થાય. એક છેતરશે, બે છેતરશે, પાંચ છેતરશે પણ સાચો માણસ પછી ત્યાં મળશે એને ! નહીં તો સાચો મળે જ નહીં ને ! સીસ્ટમસારી છેને ? છેતરાય, એ તો આપણા પ્રારબ્ધમાં લખ્યું હશે તો છેતરશે, નહીં તો શી રીતે છેતરશે ? એટલે છેતરાતાં છેતરાતાં આગળ જશો તો પેલું સાચું મળી આવશે.

છેતરાતાં છેતરાતાં કામ સારું થશે અને જે છેતરાવા ના રહ્યા એ તો ભટકી ભટકીને મરી જશે, તોય ઠેકાણું નહીં પડે. કારણ કે વિશ્વાસ જ ના બેસે ને ! શંકાશીલ થયા એનો ક્યારે પાર આવે ? ‘છેતરાઈને શીખો. એ મને બહુ ગમેલું અને ગાંધીજીએ એમાં મને હેલ્પ કરી. ગાંધીજી કહે છે, ‘હું તો માણસ જાત ઉપર વિશ્વાસુ છું. છેતરાવાની જ મજા માણું છુંકહે છે. શું કહે છે ? છેતરાશો નહીં તો તમને મહાન પુરુષ મળશે નહીં. છેતરાવાનું જે બંધ કરી દે, કોરો-ચોખ્ખો રહે છે, તે ચોખ્ખો ત્યાં આગળ લાકડામાં જતો રહેશે. લાકડામાં ચોખ્ખો જ જતો રહે ને? માટે સો-સો જગ્યાએ છેતરાયા પણ એક માણસ એવો મળી આવશે કે તારું કામ નીકળી જશે.

સમજીને છેતરાવા જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી. આ સિદ્ધાંત બહુ ઊંચો છે. મનુષ્યજાતિ પરનો વિશ્વાસ એ તો બહુ ઊંચી વસ્તુ છે.

 જ્ઞાની પુરુષનું તો આજે આ ખોળિયું છે ને કાલે આ પરપોટો ફૂટી જશે તો શું કંઇ મોક્ષમાર્ગ રખડી મર્યો છે ? ત્યારે કહે, ‘ના, જો આટલી શરતો હશે કે જેને મોક્ષ સિવાય બીજી અન્ય કોઇપણ જાતની કામના નથી અને જેને પોતે જાણીજોઇને છેતરાવું છે એવાં કેટલાંક લક્ષણો એના પોતાનામાં હશે ને તો એનો મોક્ષ કોઇ રોકનારો નથી; એમ ને એમ એકલો ને એકલો, જ્ઞાની સિવાય બે અવતારી થઇને એ મોક્ષે ચાલ્યો જશે !

મારે મોક્ષે જવું છે, મારે અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો. પાછું એમેય જાણું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? ત્યારે કહે, નિયમને આધીન.

આ દુનિયામાં જે છેતરાય, જાણીજોઇને છેતરાય, એના જેવો પાકો આ જગતમાં કોઇ છે નહીં ને જે જાણીબૂઝીને છેતરાયેલા તે વીતરાગ થયેલા.માટે જેને હજી પણ વીતરાગ થવું હોય તે જાણીબૂઝીને છેતરાજો.

જગતથી છેતરાઇને પણ મોક્ષે ચાલ્યા જવા જેવું છે. વખત ખરાબ આવી રહ્યો છે. બ્યાશી હજાર વર્ષ સુધી તો માણસને ઊંચું જોવાનો વખત નહીં મળવાનો. એટલા ભયંકર દુઃખોમાં, યાતનામાં રહેશે બધા માણસ, માણસ થશે તોય.તેથી અમે કહીએ ને ચેતો, ચેતો, ચેતો. જે જાણીબૂઝીને છેતરાય તે મોક્ષનો અધિકારી !

20.10.12

લતા એક દંતકથા [અનુવાદક -શરદ ઠાકર]


[લતાજી  ના અવાજ ને ના સાંભળ્યો હોય ને એનાથી પ્રભાવિત ના થયો હોય 
એવો ભારતીય મળવો મુશ્કેલ છે. હરીશ  ભીમાણી લિખિત અંગ્રેજી પુસ્તક 
in search of lata પુસ્તક નો ડો શરદ ઠાકરે "લતા એક દંતકથા" શીર્ષકથી અનુવાદ કર્યો છે.
૩૦૦/- ની કિંમત નું આર આર શેઠ પ્રકાશનનું આ પુસ્તક 
લતા, ભારતીય સંગીત અને ફિલ્મ જગતના અન્ય પાર્શ્વગાયકોને ચાહનારાઓ માટે 
દુર્લભ હીરા સમાન છે. પ્રસ્તુત છે કેટલાક અંશ :]
તમામ  તસ્વીરો ઈન્ટરનેટ પરથી લેવાઈ છે.
 ********************************************************
અતિશય પરિચિત હોવા છતાં જેણે જાદુ ગુમાવ્યો ન્ હોય
એવી એકમાત્ર ઘટના લતા મંગેશકર નો અવાજ છે . - પુ લ દેશપાંડે
  

અનીલ બિશ્વાસ પાસેથી લતાને એક અણમોલ તરકીબ શીખવા મળી. એ છે શ્વાસ લેવા મુકવા ની નિયંત્રિત નિપુણતા. અનિલદા એ મને શીખવ્યું કે બે શબ્દો ની વચ્ચે ના સમયમાં શ્વાસ કઈ રીતે લઈ શકાય અને એમ કરતી વખતે ગાયકે કેવી રીતે માઈક આગળ થી એનું મોઢું સહેજ ખસેડી લેવું જોઈએ, અને જેવો શ્વાસ લેવાઈ જાય કે તરત પાછુ માઈક ની સામે કેવી રીતે આવી જવું પડે.
એમણે લતાને એ પણ શીખવાડ્યું કે ગીત ની દરેક પંક્તિ નો આરમ્ભ જરા હળવા સુરમાં કરવો અને એ જ શૈલીમાં એને હળવાશથી સમાપ્ત કરવી. 



આર ડી બર્મન :-મને તો એવું લાગતું હતું કે એ ફક્ત હોઠ ફફડાવી રહ્યા હતા, પણ મિશ્રણ ક્ક્ષ્ માં ગયો ત્યાં એમનો જબરદસ્ત અવાજ સાંભળવા મળ્યો. મેં બાબા[એસ ડી બર્મન] ને પૂછ્યું , તેઓ ત્યાં તો ગાઈ નથી રહ્યા , તો આ અવાજ આવે છે ક્યાંથી ?
એસ ડી બર્મન : આ જ એની શૈલી છે. એ બહુ જ મૃદુતાપૂર્વક ગાતા હોય એવું લાગે છે, પણ એમના અવાજ માં જોરદાર શક્તિ રહેલી હોય છે. એમનો અવાજ માઈક્રોફોન માટે એવો અનુકુળ છે કે જે  પરિણામ મળે છે તે તમારા શ્વાસ ને થંભાવી મુકે છે.એમના અવાજમાં એક ખાસ ફ્રીકવન્સી છે જે માઈક્રોફોન સાથે પૂરે પૂરી  યોગ્ય રીતે ટકરાય છે. તમે એમના સ્વરને માઈક્રોફોન સાથે મૈત્રી વાળો અવાજ કહી શકો.    



કૌશિક બાવા-રેકોર્ડીંગ એક્સપર્ટ -  બાઈને તમે ચૌદ વાર માઈક ઉપર રિહર્સલ કરવાનું કહેશો, કે દસ વાર અંતિમ રેકોર્ડીંગ કરાવવાનું કહેશો, તો પણ તમને એ જ સૂર સાંભળવા મળશે, અવાજનો એવો ને એવો ફંગોળ જાણવા મળશે.

લતા એક એવું નૈસર્ગિક કમ્પ્યુટર છે
જે સંગીત ની પૂર્ણતાના અસંખ્ય પાસાઓને 
ગણતરીની ક્ષણોમાં પકડી લે છે . - પંડિત કુમાર ગાંધર્વ 


     
દીનાનાથ ના પ્રથમ લગ્ન થી થયેલ દીકરી નું નામ લતા હતું, જેનું નવ માસ ની ઉમરે જ અવસાન થયું હતું. લતા મંગેશકર ની અસલ રાશી કર્ક છે . જન્મ સમયે પિતા એનું નામ હ્રદયા રાખવાના હતા પણ માતા એ જીદ કરી લતા રાખ્યું . 


 
હું માનું છું કે હું ઘણી ચતુર છું . હું જો ગાયિકા ન પણ બની હોત , અને જો કોઇ બીજા વ્યવસાય માં પડી હોત તો પણ હું લતા મંગેશકર ની ઊંચાઈએ જરૂર પહોંચી શકી હોત.


    
લતાજી ના માતા સેવંતી તાપી નદીના કાંઠે આવેલા થાળનેર નામના નગરના શેઠ હરિદાસ લાડની ત્રીજી દીકરી હતી. ગુજરાતી હોવાં છતાં મહારાષ્ટ્રમાં વસેલા હોવાથી એમના રીત રીવાજો મહારાષ્ટ્રીયન હતા. શ્યામ રંગ અને સાધારણ દેખાવ ને લીધે  એ એની માને અળખામણા હતી. એની રૂપાળી બહેન નર્મદા( દીનાનાથ સાથે એમના લગ્ન થયા હતા, એમનું અવસાન થયા પછી સાવંતીના એમની સાથે લગ્ન થયા) નો ઘરમાં પડ્યો બોલ ઝીલાતો જયારે  સેવંતીના માથે બધા ઘરકામ નાંખી દેવાયા હતાં. એમની મા એમને એટલો ત્રાસ આપતી અને વારે વારે એવો મેથીપાક આપતી કે એક વાર એમણે એમના પિતાને પૂછ્યું હતું કે શું હું સાચે જ તમારી દીકરી છું કે કોઇ પાસેથી તમે મને વેચાતી લીધી છે ?!
[માતાએ મૂંગે મોઢે વેઠેલા આવા અત્યાચારે જ કદાચ લતાજીને પોતાના હક્કો માટે , પોતાના અસ્તિત્વ માટે મક્કમ, બળવાખોર અને અડગ બનાવ્યા હશે, ત્યારે જ તો ] ગાયેલા ગીતો માટે ગાયકને પણ રોયલ્ટી મળવી જોઈએ એવી એમની માંગણીમા એ એકલા અડગ રહ્યા અને આજે તેઓ એકમાત્ર એવા કલાકાર છે જે આવી રોયલ્ટી મેળવે છે !

એમના પિતાજી ની મૂળ કૌટુંબિક અટક હર્ડીકર હતી, પણ નાટ્ય જગત મા પ્રવેશતા પહેલા પોતાની આગવી ઓળખ માટે ની તીવ્ર સભાનતાના લીધે એમણે પોતાના કુળદેવતા મંગેશ અને ગામ મંગેશી પરથી મંગેશકર અટક ધારણ કરી. એક સમયે એ એટલા સફળ  હતા કે ગોવામાં એમણે કેરી અને કાજુ ની વિશાળ વાડીઓ ખરીદી હતી. એમના દરેક નાટક પાછળ એ જમાના મા ૭૦,૦૦૦ નો ખર્ચ કરવામાં આવતો હતો. પણ ચિત્રપટ નો સુરજ ચમકવા માંડતા એમની બલવંત નાટક મંડળી નો સુરજ આથમવા લાગ્યો. ૧૯૪૨ માં ૪૨ વર્ષે, જયારે એ મરણપથારીએ હતા ત્યારે એમની પત્ની એ એમને  પૂછ્યું , મને ખબર છે તમે અમને છોડીને ચાલ્યા જવાના છો...પણ આ બધા નું શું ? દીનાનાથે તાનપૂરો વગાડતા હોય એ રીતે આંગળીઓ થી ઈશારો કર્યો. મતલબ બાળકો એ ગાઈ-વગાડીને પેટ ભરવાનું હતું.  
  
હ્રીદયનાથ : કદાચ જો [બાબા ] હયાત હોત તો દીદી ની શાશ્વત પ્રતિભા પરંપરાગત રૂઢીઓ અને કાર્યોમાં ગુમરાહ થઇ ગઈ હોત



મેં અત્યાર સુધીમાં હજારો ગીતો ગયા છે પણ એ દરેકે દરેક ગીતમાં ચોક્કસ કઈ જગ્યાએ મેં સારી રીતે નથી ગાયું , એ ગીત શરુ થતાની સાથે જ મને યાદ આવી જાય છે. એટલે એ ગીત પ્રસારિત થતું હોય ત્યારે હું દોડીને રેડીઓ બંધ કરી દઉં છું કે મોટે થી વાતો કરવા લાગુ છું જેથી બેઠેલાનું ધ્યાન બીજી દિશામાં ખેંચાઇ જાય ! એકે ભૂલ ના હોય એવા રડ્યા ખડ્યા ગીતોમાંનું એક સર્વાંગ સંપૂર્ણ ગીત છે : બૈરન નીન્દીયા ના આયે !

ઈજીપ્ત ની ગાયિકા ઉમ્મે કુલસુમ ની હું પ્રશંસક છું. કેટલાક લોકો એને 'ઈજીપ્ત ની લતા મંગેશકર' તરીકે ઓળખાવે છે ..શા માટે મને કોઇ 'ભારત ની ઉમ્મે કુલસુમ' કહીને નથી બોલાવતું ?!



તમને ખબર છે, મુકેશ ભૈયા વહાલપૂર્વક મને શું કહેતા હતા ? ' સસુરી, મૈ તેરા કયા કરું ? અચાર કર ડાલું ?'

"લતા શું છે ?
 શ્વેત સદીમાં સ્મેતાયેલું પાંચ ફીટનું એક વામન વ્યક્તિત્વ. 
પણ એનો સ્વર
જાણે આ વિશ્વ ને અજવાળવા માટે આવ્યો હોય એવો
શુદ્ધ પ્રકાશ નો સ્તંભ. 
આવનારી કંઈક પેઢીઓ આ 'ટેપ' અને 'સી.ડી. ' ની ઋણી રહેશે
કારણ કે એની અંદર લતાનો અદભુત કંઠ સચવાયેલો છે. 
એ લોકો નસીબદાર છે, જેઓ એને ખુબ નિકટ થી ઓળખે છે ... "
- દિલીપ કુમાર
*******************************
લતાજીના જન્મદિવસ નિમિત્તે ૨૦૦૯માં દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલો 
ડો શરદ ઠાકરનો લેખ વાંચવા 
ક્લિક કરો. 
***********************
"લતા એક દંતકથા " પુસ્તક વિષે 
અન્ય બ્લોગ પર લખાયેલ શ્રી સૂર્ય નો લેખ વાંચવા 
 ક્લિક કરો.




   

6.10.12

male મધર ટેરેસા


તું હવે સરનામું પાકું આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે 
ગૌરાંગ ઠાકર



તાજ હોટેલ, બેંગલોરના ખ્યાતિપ્રાપ્ત શેફ નારાયણ ક્રિશ્નન ને નોકરી માટે હવે સ્વીત્ઝર્લેન્ડ ની ઓફર મળી હતી. યોરપ માટે વિદાય થતાં પહેલા એ મદુરૈ માં રહેતા પોતાના કુટુંબીજનોને મળી લેવા માંગતો હતો.
મદુરૈ શહેરના રસ્તાઓ પરથી પસાર થતી વખતે એણે એક એવા માણસને જોયો જે માનસિક રીતે અસ્થિર હતો અને અસહ્ય ભુખને લીધે પોતાનું જ મળ ફંફોસી રહ્યો હતો ! 

બુદ્ધ અને મહાવીરના જીવનની જેમ એ એક જ દ્રશ્યએ નારાયણના જીવનની દિશા બદલી 
નાંખી.

નારાયણે હોટેલના શેફની ઝળહળતી કારકિર્દી છોડી દીધી અને રસ્તે રઝળતા, માનસિક રીતે અસ્થિર લોકોને દરરોજ ત્રણેય વખત નું ભોજન પહોંચાડવા ને જ પોતાના જીવનનો ધ્યેય બનાવી લીધો.
 
હોટેલોમાં ફૂડ તો મળે છે, ખુશી નથી મળતી. તમે જ્યારે એક ભુખ્યાને ભોજન આપો છો, ત્યારે એ વાત તમને અપાર ખુશી આપે છે.
 એના મા-બાપને સગાવ્હાલાઓએ સલાહ આપી કે એમણે પોતાના દીકરાને કોઈ મનોચિકિત્સક પાસે લઇ જવો જોઈએ, પણ જ્યારે એમણે નારાયણનું કામ જોયું અને એ ભૂખ્યા જનોના ચહેરા પરનો આનંદ જોયો ત્યારે એની માએ કહ્યું , તું એ લોકોને ખવડાવવાનું ચાલુ રાખ, હું તને ખવડાવવાનું ચાલુ રાખીશ !
 
આજે નારાયણ દરરોજ ૪૫૦ માનસિક અસ્થિર લોકોને ત્રણ ટાઈમ નું ભોજન પૂરું પાડે છે ! એટલું જ નહિ, સમયાંતરે એમના માટે શેવિંગની ને વાળ કપાવવાની પણ વ્યવસ્થા કરે છે. 

"અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન...
મંદિર કે બાહર ખડા ઈશ્વર માગે દાન..."

- નિદા ફાજલી.
એવા દિવસો વારંવાર આવતા હતા કે જ્યારે તપેલા ના તળિયા દેખાતા હોય અને કાલે ખવડાવીશું શું એની સુઝ પણ પડતી ના હોય. પણ યાદ રાખજો, સાધનોના અભાવે દુનિયામાં કોઈ સારું કામ અટકી પડ્યું નથી. જો એ અટકી પડ્યું હોય તો કદાચ એ એટલું ઉમદા કામ નથી જેટલું આપણને લાગે છે.
 
ભૂખ્યાંની ભુખ ભાંગવાની નારાયણની આ ભુખ આજે અક્ષય (ટ્રસ્ટ) થઇ ગઈ છે.  

પોતે ભૂખ્યા હોવાં છતા ખોરાક શોધવાની ય સુઝ નથી 
એવા લોકોના મો માં ભોજન મૂકી, 
એમની આંખોમાં હર્ષના આંસુ જોવા 
એ નારાયણનો હવે ફુલ ટાઈમ જોબ છે.

 
મધર ટેરેસા ને યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે મારું કામ તો કશું જ નથી. પણ એક વ્યક્તિ તરીકે તમે મદદ નું કોઇ પણ કાર્ય કરો છો તો એ કાર્ય મહાન છે. દુનિયામાં દરેક માણસ જો  દરરોજ ફક્ત એક જ માણસ ને મદદ કરવાનું નક્કી કરે, તો અક્ષય ટ્રસ્ટ જેવા NGO ની કોઈ જ જરૂર નહિ રહે !
एक पथ्थर सिर्फ एक बार मंदिर जाता है और भगवान बन जाता है
हम इंसान हर रोज़ मंदिर जाते है फिर भी पथ्थर ही रहते है ..!


૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં માં નારાયણનું નામ હતું. આ ખ્યાતીને લીધે IIM-બેંગલોર માં જવાની એની ઝંખના પૂરી થઇ. અલબત્ત, સ્ટુડન્ટ તરીકે તો નહિ, પણ IIMના વિદ્યાર્થીઓ સામે પ્રવચન આપનાર મહાનુભાવ તરીકે !

http://www.akshayatrust.org/

17.9.12

સપના થી સફળતા - બીગ બઝાર ના સ્થાપકના મનોજગત ની વાત

ના થી તા
it happened in India

બીગ બઝાર ના સ્થાપક 
કિશોર બિયાની ની સાહસ કથા 
પ્રકાશક : આર આર શેઠ , કિંમત ૧૨૫/-
 [ પુસ્તકમાં ચૂંટેલા અવતરણો ]


આ પુસ્તક વિશિષ્ટ એટલા માટે છે કે એ તમને સપના જોવા માટે પડકાર ફેંકે છે !

મેં એક જ સિદ્ધાંત ના પાયા પર બધું ઉભું કર્યું કે,  
નિયમો નવેસર થી લાખો , પણ મૂલ્યો સાચવી રાખો


જયારે તમને કશુક જોઈએ જ છે , 
ત્યારે તે મેળવી આપવા માટે તમને મદદ કરવાના કાવતરામાં 
આખી દુનિયા સામેલ થઇ જાય છે ! 
[ પોલો કોહેલો ] 


જો કોઈ વિચાર પહેલી નજરે જરા વિચિત્ર ના લાગે 
તો તેને માટે કોઈ આશા નથી !  
 - આઈનસ્તાઇન 


ખરી નિષ્ફળતા તો ત્યારે જ છે 
જયારે વ્યક્તિઓ 
પોતાની વ્યક્તિગત શ્રેષ્ઠતાને મેળવવાના પ્રયત્નો છોડી દે.


હું માનું છું કે આપણે સહુ 
આ દુનિયામાં વખત પસાર કરવા માટે આવ્યા છીએ !
આપણે કોઈ એવી પ્રવૃત્તિ પસંદ કરી લઈએ છીએ , 
જે આપણને કરવી ગમે છે, 
અને પછી તેને આપણો વ્યવસાય કહીએ છીએ !
આને હું ટાઇમ પાસ સિદ્ધાંત કહું છું. 




( વ્યવસાયમાં)  બચાવ અને સફળતા નો આધાર છે 
ઝડપ અને કલ્પના 
  નારાયણ મૂર્તિ  



ઘણી વાર પ્રકૃતિ જે રીતે કામ કરે છે તે આપણને પ્રેરણા આપે છે. 
પ્રકૃતિમાં જાળવણી અને પરિવર્તન વચ્ચે , 
વ્યવસ્થા અને સ્વતંત્રતા વચ્ચે, 
સંગઠિત કે  અસંગઠિત  વચ્ચે 
કોઈ જાતની તાણ નથી હોતી. 
જીવંત રહેવા માટેનો સંઘર્ષ સતત હોય છે, 
છતાં  પ્રકૃતિમાં સુસંગતતા અને પરસ્પર આધાર 
તેના પ્રત્યેક સજીવ સર્જનોમાં જોવા મળે છે.
પ્રકૃતિ આપણ ને એ પણ શીખવે છે કે 
સામાન્ય રીતે વલણોમાં સુમેળ અને સહઅસ્તિત્વ ની જરૂર છે. 
કશું કહેતા કશું જ કાયમી કે અંતહીન હોતું નથી 
અને કોઈ પણ બીજાને નુકસાન પહોંચાડીને પોતે પણ નુકસાન પામ્યા વિના રહેતું નથી.
 પ્રકૃતિની જેમ જ ધંધાકીય સંગઠનો પણ બીજાને પછાડ આપીને પોતે વિકસે તે સંભવ નથી. 
અમે અમારા પુરવઠા સાથીદારો કે ધંધાના ભાગીદારો 
કે પડોશી દુકાનદારો સુદ્ધાંના ભોગે 
વિકાસ ન કરી શકીએ. 
તેમની સાથે  જે દિવસે અમે સંબંધો ના મહત્વને અવગણીશું 
અને સંબંધોને પોષણ આપવાનું બંધ કરીશું 
તે દિવસે અમે જ અમારા સદંતર વિનાશની તૈયારી કરીશું. 



હું માનું છું કે નેતૃત્વ ને અને કામની સોંપણી ને લેવા દેવા નથી. 
નેતૃત્વ એટલે અધિકાર ત્યાગ. 
નવીનીકરણ અને સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે 
નેતાએ મોટા ભાગના નિર્ણય લેવાની અને અમલ કરવા ની બાબતો 
પોતાની ટીમ માટે ત્યાગી દેવાની હોય. 
એમ થાય તો જ પછી તે પોતે સંગઠન માટે કંઈ વધુ સારું અને વધુ મોટું કામ કરી શકે . 


જ્યાં સુધી દુઃખ ના થાય ત્યાં સુધી આપતા રહો... 
G  i  v  e     T i  l l          I  t       H  u  r  t  s ! 
 મધર ટેરેસા